
કોઈ કહી દો કાળને આડો ફરે નહીં ,
મરવાથી જે બચ્યા હવે માર્યા મરે નહીં.
જાણી લીધું તમારું જીગર બાગ બાગ છે ,
હસવામાં નહિ તો કોઈ દી ફૂલો ઝરે નહીં.
લાગે છે એણે વારસો લીધો છે સર્પનો
સોમલ નયનથી નહિ તો કદી નીર ઝરે નહીં.
પુરુષાર્થથી તો ભાગ્ય ફરી જાય માનવી ,
કોણે કહ્યું કે લેખ વિધિના ફરે નહીં..
પહેલેથી લોહ સાથે છે પથ્થરને અણબનાવ ,
ભેગા થઈ ગયા હવે ચકમક ઝરે નહીં.
આ તો તમારા નામથી “નાઝિર” તરી ગયો
કળિયુગમાં નહિ તો કોઈ દી પથ્થર તરે નહીં.
– નાઝિર દેખૈયા